મહાસાગરનાં મોજાં પર ઊછળતા પ્રત્યેક બુંદને સૂર્યનાં કિરણનો સ્પર્શ પામવાની ઝંખના હોય છે. આવાં અસંખ્ય બુંદનો વાસનામોક્ષ થાય ત્યારે વાદળ આકાશમાં તરતું થાય છે. પ્રત્યેક વાદળની ઝંખના ક્યાંક વરસી પડવાની હોય છે. ધરતી પર ફરફરતું પ્રત્યેક પાંદડું વરસાદનું ટીપું પામવાની ઝંખનાને કારણે પીળું પડવા માંડે છે. પર્વતની ટોચ સાથે અથડાય ત્યારે વાદળના અહમ્ના ચૂરેચૂરા થઈ જાય છે અને પછી જે અમૃતધારા વહેવા માંડે તેને લોકો નદી કહે છે. તરસ છિપાવવા માટે નદી સતત વહેતી રહે છે, પરંતુ એની ઝંખના તો મહાસાગરમાં વિલીન થવાની હોય છે. આમ મહાસાગરના બુંદનો જન્મજન્માંતરનો ચકરાવો ચાલતો જ રહે છે.પ્રત્યેક માણસ પોતાના હૃદયના ઊંડાણમાં કોઈ ને કોઈ ઝંખના લઈને જીવનભર હીંડતો રહે છે.